ફોર્ટીફાઈડ ચોખાથી બાળકોના બૌદ્ધિક, શારીરિક અને માનસિક વિકાસ સાથે સ્વાસ્થ્ય સુધરે છે
ફોર્ટીફાઈડ ચોખા અંગેની ગેર સમજ દૂર કરવા જાગૃતિ અભિયાન હાથ ધરાયું
તાજેતરમાં અલગ-અલગ સમાચારપત્રો તથા સોશિયલ મીડીયામાં બનાસકાંઠા જિલ્લામાં “સસ્તા અનાજની દુકાનો તથા પી.એમ.પોષણ કેન્દ્રો પર પ્લાસ્ટીકના ચોખા નીકળતા” હોવા અંગેના સમાચારો પ્રસિધ્ધ થયેલ છે. આ સમાચારોથી વિપરિત, પીએમ પોષણ યોજના હેઠળ વિતરિત કરાયેલા ફોર્ટિફાઇડ ચોખા પ્લાસ્ટિકના ચોખા નથી. તે કુપોષણ સામે લડવા માટે ચોખા અને સૂક્ષ્મ પોષકતત્ત્વોનું ખાસ ઘડાયેલું મિશ્રણ છે.
સરકારશ્રી દ્વારા આપવામાં આવતા ચોખાનું ફોર્ટીફિકેશન કરવામાં આવે છે.જેમાં ચોખાના પાઉડરમાં આયર્ન, ફોલીક એસીડ અને વિટામિન B12 ઉમેરી ચોખા બનાવવામાં આવે છે અને ૧૦૦ : ૧ ની માત્રામાં ચોખામાં ભેળવી બેગમાં પેક કરવામાં આવે છે. ચોખા કૃત્રિમ રીતે કંપનીમાં બનાવવામાં આવે છે. ફોર્ટીફાઈડ ચોખાને પી.એમ.પોષણ યોજના હેઠળ બાળકોને આપવામાં આવે છે. તેનાથી બાળકોની બૌધ્ધિક, શારિરિક અને માનસિક શક્તિઓમાં વધારો થાય છે. તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
ફોર્ટીફાઈડ ચોખા એ પ્લાસ્ટિક ચોખા નથી આ ગેરસમજ દૂર કરવા અને જાગૃતિ લાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં તમામ શાળાઓ અને મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં તમામ હિતધારકોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા જીલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યુ છે.