મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે લેખિત રજૂઆત કરતાં
ગોપાલ ભજીયા હાઉસ સહિતને 3 દિવસમાં બાંધકામ દૂર કરવા નોટિસ
મહેસાણા આઝાદ ચોક વિસ્તારમાં બંધાઈ રહેલી ચાર દુકાનો અંગે પાલિકાના પૂર્વ પ્રમુખે લેખિત રજૂઆત કરતાં તંત્ર દોડતું થયું હતું અને ગોપાલ ભજિયા હાઉસ સહિતની ચાર દુકાનોને નોટિસ ફટકારી સ્થળ પર પહોંચી બાંધકામ બંધ કરાવ્યું હતું.
શહેરના આઝાદ ચોક વિસ્તારમાં જ્યાં પહેલા ગોપાલ ભજીયા હાઉસ સહિતના કેબિનો હતા, તે જગ્યાએ દુકાનોનું પાકું બાંધકામ થતાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નવીનભાઈ પરમારે પાલિકાને ગેરકાયદે બંધાઈ રહેલી આ દુકાનોની પરવાનગી કે મંજૂરી છે કે નહીં તેવી લેખિત રજૂઆત કરતાં પાલિકાના તંત્રએ શુક્રવારના રોજ ગોપાલ ભજીયા હાઉસ સહિતની ચાર દુકાનોને નોટિસ ફટકારી ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે તાકીદ કરી હતી. અન્યથા ત્રણ દિવસમાં પાલિકા બાંધકામ દૂર કરશેની ચીમકી પણ નોટિસમાં નગરપાલિકાએ આપી છે. બીજી તરફ, દુકાન માલિકો દ્વારા પાલિકાની નોટિસને પગલે તાત્કાલિક બાંધકામ પણ બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું હતું
મનોજ યોગી